રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર, દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. જે પ્રકારે તેમની સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે તેને લઈ પટેલ વર્સીસ ક્ષત્રિય સમાજની વરવી સ્થિતિનું સ્થિતિનું પણ નિર્માણ થયું છે. ક્ષત્રિય સમાજ ટિકિટ પાછી ખેંચવાના મુદ્દા પર અડીખમ છે તો સામે પક્ષે પટેલો દ્વારા રુપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
ભાજપ માટે ખૂબજ પેચીદી સ્થિતિ બની ગઈ છે. ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ક્ષત્રિય સમાજના આગેવાનોને રુપાલની ટિકિટ રદ્દ કરવા સિવાય બીજું કશું ખપતું નથી.
ભાજપ છાશ ફૂંકી ફૂંકીને પી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની રુપાલાને માફી આપી દેવાની અપીલની પણ કોઈ અસર થઈ નથી અને ગાંધીનગર ખાતેની સમાધાન સાધવાની મીટીંગ પણ ફેલ થઈ ગયા બાદ ભાજપ માટે એક તરફ કૂવો તો બીજી તરફ ખાઈ જેવો મામલો બની ગયો છે.
ક્ષત્રિય સમાજના નેતાઓ સ્પષ્ટપણ રુપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે અગડ છે ત્યારે હવે ભાજપ માટે કોઈ દિશા બચી છે તો તે એ છે કે ખુદ રુપાલા ચૂંટણી લડવાનો ઈન્કાર કરે. હવે બોલ રુપાલાના પાલામાં ફેંકી દેવામાં આવશે એવું સૂત્રો જણાવી રહ્યા છે.
અગાઉ બે સીટ પર એવું બન્યું છે. સાબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોર અને વડોદરા સીટ પર રંજનબેન ભટ્ટે જાતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. હવે એવું લાગે છે કે ચૂંટણી નહીં લડવા અંગે રુપાલાના પણ સેલ્ફ ડેકેલેરેશનની રાહ જોવામાં આવશે.
સૂત્રોની માનીએ તો રુપાલા પણ ચૂંટણી લડવા મક્કમ છે. તેઓ ક્ષત્રિય સમાજના વિરોધની સામે પણ રાજકોટના ચૂંટણી મેદાનમાંથી ખસી જવાના મૂડમાં નથી પણ પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવે તો રુપાલા માટે મોટી વિટંબણા સર્જીઈ શકે છે. ટિકિટ કપાયા બાદ રુપાલાના રાજકીય કેરિયાર માટે પણ મોટો પ્રશ્ન ઉભો થઈ શકે છે.